મહાપ્રભુજીની વાણીના આવા અનિર્વચનીય સામર્થ્યને અનુલક્ષીને, મેં પણ, ષોડશગ્રંથ ગત ઉપદેશો અને તેમની ૬૪, ૨૮, ૧૬ અને ૧૪ વાર્તા નામક ચાર પુસ્તકો લખ્યાં છે.
આ ચારેય પુસ્તકોમાં ષોડશગ્રંથ સાથે , ૮૪-૨૫૨ વૈષ્ણવની વાર્તા સંયોજીત કરવાની પ્રેરણા મને મારા પુજ્યપાદ ગુરુજી શ્રીદીક્ષિતજી મહારાજના પુત્રરત્ન,
પાર્લાવાળા પૂ.પ.ગો. શ્રી શ્યામમનોહરજીથી મળી. લગભગ ૨૦૦૦ ની સાલમાં પૂ. શ્યામુબાવાએ એક વચનામૃતમાં એવી આજ્ઞા કરેલી કે
ષોડ઼શગ્રંથો અને ૮૪-૨૫૨ વૈષ્ણવોની વાર્તાઓને એક્મેક કરીને, કોઇપણ વૈષ્ણવ, બે વર્ષ સુધી અધ્યયન કરશે,
તો એમના પુષ્ટિસંપ્રદાય સંબંધિત ૮૦% પ્રશ્નોનુ નિવારણ થઇ જ્શે, કારણકે ષોડ઼શગ્રંથોમાં મહાપ્રભુજીના ઉપદેશો છે
તો વાર્તાઓમાં, વલ્લભની વાણીનો લીલોઉપદેશ છે. બાવાશ્રીની આજ્ઞા અનુસાર અને આપના આશીર્વાદ લઇને ૨૦૦૧ ના વર્ષમાં પહેલા. મે. ષોડશગ્રંથ
ગત ઉપદેશો અને તેમની ૬૪ વાર્તાઓ નામનો ભાગ-૧લો લખવાની શરૂઆત કરી. આ પુસ્તક લખતા – લખતા મારા હૃદયમાં,
આચાર્યચરણના ગ્રંથોના સિદ્ધાંતોના અર્થની ભીતર, મને, એના ગૂઢાર્થરૂપે વહેતી બહુરંગી ભાવરસની તરંગાવલીઓ મહેસૂસ થવા લાગી.
એ ભાવ તરંગોના અંતરમાં, મને, મહાપ્રભુજી ના સિધ્ધાંતોના નિગૂઢાર્થરુપે, અનંત લલિત લીલારસો વિધમાન હોય એવી પ્રતીતિ થવા લાગી.
Prism માંથી પસાર કરવાથી જેમ સુર્યકિરણો અનેક રંગી બની જાય છે, તેમ भक्तिमार्गाब्जमार्तण्डની ષોડ઼શગ્રંથની વાણીને વાર્તાઓના
Prism માંથી પસાર કરવાથી, એમાંથી અનેકવિધ રસરંગો પ્રગટ થયા, જેમને આ ચાર પુસ્તકોમાં આવરી લેવાનો મે યથામતિ પ્રયાસ કર્યો છે.
ષોડશગ્રંથ અને વાર્તાઓના સંગમથી ઉદૂભૂત થતા આ વિવિધ રસો છે; સંયોગરસ, વિરહરસ,સિદ્ધાંતરસ, નિ:સાધનતા અને આશ્રયરસ, દીનતારસ, સમર્પણરસ, નિર્ગુણભાવરસ, લીલામૃતરસાર્દ્રરસ,
પ્રેમ, આસક્તિ, વ્યસન કે નિરોધરસાદિ. આવા અનેકવિધ રસોનો સમૂહ એક સાથે પ્રગટ થાય તે રાસ છે. એને સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે; " रसानां समूहो रासः ".
આનુ રહસ્ય એ છે કે ષોડ઼શગ્રંથની વાણી અને ૮૪-૨૫૨ વૈષ્ણવોની વાર્તાઓના ભાવને એકમેક કરવાથી સાક્ષાત્ રાસલીલા પ્રગટ થઇ જાય છે, જેનુ સ્વરૂપ છે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદાસક્તિ.
આ રાસરસ લાવણ્યના સાગરની લહેરોમાં વિશેષ ચમત્કૃતિ આવિષ્કૃત થાય એના માટે મારા પુસ્તકોમાં, મેં, નામોપદેશરૂપ શ્રીસર્વોતમજી અને નામરત્નાખ્યને, કીર્તનો અને સુબોધિનીજીના મધુરતમ વાક્યોને તથા શિક્ષાપત્રની અમૃતમય વાણીને પણ સમાવિષ્ટ કરી છે. એની લ્હાણી આપણે સાથે માણી એ, એ હેતુથી આ website ઉદ્ભૂત કરી છે.